Search This Blog

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

પેટ ઘણું ચતુર છે, તમારું ગુલામ તો નથી જ

Kanti Bhatt
તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે
આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આહારને જ ઔષધરૂપ બનાવો. સૂક્ષ્મ પ્રમાણમાં પેટ ઊણું રાખીને ચાવી ચાવીને મૂંગા મોંઢે ચુસ્ત જૈનોની જેમ ખાઓ. ઇજિપ્તની એક જૂની કબર ઉપર શિલાલેખ વાંચવા મળ્યો. તેમાં લખેલું કે તમે જે ખાઓ છો (વધુપડતું) તેમાંથી ૨૫ ટકા જ તમને જીવતા રાખે છે. બાકીનો ૭૫ ટકા આહાર ડોક્ટરોને જિવાડે છે! આજે ‘જિવાડે’ નહીં ડોક્ટરોને કરોડપતિ બનાવે છે.

ઘણા ડોક્ટરો પોતે જ વધુપડતા વજનથી-ઓબેસિટીથી પીડાય છે. સુપ્રીમ કોર્ટના અમેરિકન જસ્ટિસ ઓલીવર વેન્ડેલ હોમ્સ પોતે એમડી ડોક્ટર હતા. એક દર્દીએ જંક ફૂડવાળા પર કેસ કર્યો તેને ચુકાદો આવ્યો કે હું પણ ડોક્ટર હતો, પણ મારો અનુભવ છે કે તમામ દવાને દરિયામાં ફેંકી દો અને કુદરતી આહાર ખાઓ તો જીવશો પણ તકલીફ એ થશે કે એલોપથિક દવા થકી બિચારી સમુદ્રની માછલીઓ મરી જશે! એમીલ સોવેસ્ટર નામના અંગ્રેજ ડાયેટિશ્યને આજના માનવીને કટાક્ષમાં કહેલું કે આધુનિક માનવ પોતાના પેટને ગુલામ જેવું માને છે અને જે કાંઈ સ્વાદિષ્ટ લાગે તે પેટમાં પધરાવે છે, પણ પેટ તો ઇન્ટેલિજન્ટ છે તે મોડેથી વેર વાળે છે.

‘ફિટ ફોર લાઇફ’ નામના પુસ્તક ઉપરથી તેમજ દેવલા અનેક નિસર્ગોપચાર કેન્દ્રોના ડોક્ટરોને મળીને કેટલીક ઓબેસિટી અને આહારને લગતી માર્ગદર્શક કે ચોંકાવનારી વાતો અહીં રજૂ કરી છે:

(૧) માઇકલ ક્રાઉફર્ડ અને તેની પત્નીએ મળીને આહાર ઉપર પુસ્તક લખ્યું છે. તેમાં કહ્યું છે કે આદિ માનવનું મગજ નાનું હતું. ‘પેટ મોટું’ હતું. (ક્ષુધા) તેથી જે મળે તે પેટ ભરીને ખાતો. આજે માણસનું મગજ પહેલાં કરતાં ૨-૩ ગણું વિકસ્યું છે. આંતરડા નાનાં થતાં ગયાં છે. તેથી (બ્રેઇન એકસપાન્સનથી) માણસે ઓછામાં ઓછો રાંધેલો આહાર અને વધુમાં વધુ કાચો (કચુંબર) આહાર અને ફ્રૂટ લેવાં જોઈએ. મગજનું કામ કરનારા માટે આ સલાહ છે.

(૨) અમેરિકામાં ‘અમેરિકન ન્યુટ્રીશન એસોસિયેશન ઊભાં થયાં છે અને તેના સભ્યો કાચા આહારનો પ્રચાર કરે છે. આજે કુદરતી ચિકિત્સાવાળા ચેરી નામના ફ્રૂટનો રસ સવારે નરણે કોઠે લે છે. આપણા આલુબુખારા જેવાં આ ફળ વિદેશમાં વધુ થાય છે અને સૂકવીને નહીં તાજાં ખવાય છે. એક જમાનામાં ૪૦ વર્ષ પહેલાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં ૨૯૭૦ ટન ચેરી થતી. તેમાં ઉત્તમ કુદરતી વિટામિન ‘સી’ મળે છે. જૂના ખરજવા પર ચેરીનાં બીનો મલમ અકસીર છે. તે એક નર્વ ટોનિક છે. મગજનો થાક ઉતારે છે, પણ પિશ્ચમમાં તેનો લાલ રંગનો વાઇન વધુ પીવાય છે.

ચેરી એશિયા અને ભારતનું ફળ હતું. રોમન શહેનશાહો યુરોપમાં ચેરીના બી લઈ ગયા. રોમમાં જાહેર રસ્તા પર ચેરી વવાતા જેથી સૈનિકો ભૂખ્યા થાય તો તોડીને ખાય અને તેમના સાંધાના દુ:ખાવા મટી જાય. ડો.લુડવીગ બ્લાઉએ પછી ૨૦મી સદીમાં ધડાકો કર્યો કે તે પોતે સંધિવા અને ગિઠયા વાથી પીડાતા હતા.તેમણે રોજ રાંધેલો આહાર છોડીને સવારે ફ્રૂટ અને ચેરીનો રસ પીવા માંડયા તેથી ચાલતાં થયા. ચેરીના વિટામિન સી થકી શરીરમાં યુરિક એસિડ ઓછો થાય છે. ‘જર્નલ ઓફ નેચરલ મેડિસિન’માં લખ્યું છે કે ચેરીમાં એન્થોસાઇનીન્સનું તત્ત્વ છે તે યુરિક એસિડ ઓછો કરે છે. આ એસિડ જ સાંધાના દુ:ખાવોનો વિલન છે.

(૩) ઉત્તર આફ્રિકામાં જન્મેલી ડો.એમિલી કેનના પિતાની રાજદૂત તરીકે અમેરિકામાં ટ્રાન્સ્ફર થઈ. તેણે હાર્વર્ડ યુનિ.માં શિક્ષણ લીધું. એલોપથી પ્રત્યે નફરત થતાં તેણે અમેરિકામાં સિએટલ શહેરમાં આવેલી બેસ્ટિયર યુનિ.માં નિસર્ગોપચાર અને એકયુપંકચર શીખ્યું. ડો.એમિલી કેને તાજેતરમાં મેનોપોઝ પર પુસ્તક લખ્યું છે. તેમાં ફળના રસને મુખ્ય ઔષધ બતાવ્યું છે.

ડો.એમિલી કેને બુઢાપો નિવારવાને લગતો લેખ લખ્યો છે. તેમાં ટૂંકો મંત્ર આપ્યો છે ‘ઈટ લેસ એન્ડ સ્ટે એકિટવ.’ ઓછું ખાઓ. કુદરતી આહાર લો. ડો. એમિલી પાકિસ્તાનના હિમાલય પાસેના હુંઝા પ્રદેશમાં ગયેલી. ત્યાંના લોકો કુદરતી આહાર જ લે છે. ભૂખ્યા થાય તો જ ખાય છે. તે બધા ૧૦૦ વર્ષ જીવે છે. નામદાર આગાખાને ત્યાં ઘણા ઇસ્માઇલી-હુંઝાળોનો આહારપદ્ધતિનો પાઠ લીધો છે. એ લોકો રોજા પાળે છે પણ માત્ર ૫-૬ ખજૂરની પેશીથી જ રોજા તોડે છે. ડો.એમિલી ગાજરનો રસ પીવાની ભલામણ કરે છો.

ડો.અનુતારા ટેલન્ટસએ તો આર્થરાઇટિસ ન થાય તે માટે ચેરીનો રસ પીવા કહ્યું છે. નિસર્ગોપચારક ડો.મેડેલિન ઇનોસન્ટએ પણ કહ્યું છે કે ખોરાકને રાંધવાથી ઘણા પાચક રસો-એન્જાઇમ નાશ પામે છે. ફળો, કચુંબર વગેરે પ્રિ ડાઇજેસ્ટેડ ફૂડ છે. તેણે લોકોને શાકાહારી બનાવવા ઘોડાનો દાખલો આપેલો. ઘોડાના અને માણસના દાંત લગભગ સરખા છે. ઘોડા શાકાહારી છે. ભૂખ લાગે તો જ ખાય છે. તે કેટલું બળૂકું દોડી શકે છે!

(૪) અમેરિકાની ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ પબ્લિક ઇન્ટરેસ્ટ’ નામની સંસ્થાએ પૂર્વ પ્રમુખ બુશને દરખાસ્ત કરેલી કે દરેક કોલાના પીણાં કે ગળ્યા-બોટલ્ડ પીણાં ઉપર ચેતવણી છપાય કે ૧૨ ઔંસથી વધુના પીણામાં મોટા પ્રમાણમાં કત્રિમ ગળપણ હોય છે. અમેરિકામાં ૩૦ કરોડ લોકો ઓબેસિટીવાળા છે. તેઓ ખોટા આહાર થકી અને કત્રિમ ગળપણવાળા બોટલનાં પીણાં થકી પીડાય છે. વોશિંગ્ટન યુનિ.એ સર્વે કર્યોતો ૬૬.૫ ટકા એલોપથિક ડોક્ટરે કહ્યું કે અમને સ્થૂળતા નિવારવાના ઇલાજનું સ્પષ્ટ જ્ઞાન નથી તો તે માટે ડોક્ટરોને તાલીમ અપાય! લ્યો કરો વાત! ૫૦ ટકા અમેરિકનો લીલાં શાકભાજી ખાતા નથી.

રેસ્ટોરાંનો ‘મરેલો’ ખોરાક ખાય છે. તેમાં મહત્તમ કાર્બોહાઇડ્રેટ (ઘઉ-મકાઈ વગેરે) હોય છે. તેનું પ્રમાણ માત્ર ૨૦ ટકા હોવું જોઈએ. ૮૦ ટકા ફળ-શાકભાજીનો આહાર હોવો જોઈએ. કાર્બોહાઇડ્રેટને પચાવવા લીવરે ખૂબ કામ (ઓવર વર્ક) કરવું પડે છે. બ્રેડના આહારથી અને હવે શહેરોમાં વડાપાંઉ થકી લીવર બગડે છે. જમવામાં બે-ત્રણ આઇટમ જ હોવી જોઈએ-મેની ડિશીઝ બ્રિંગ મેની ડિશીઝ. આજના કહેવાતા સિવિલાઇઝેશને આહારને વંઠાવ્યો છે. ઘડપણ નિવારવા શાકભાજી અને ફળનો રસ ઉત્તમ છે. ‘હિલિંગ પાથ ઈઝ એ નેચર પાથ’ નામના પુસ્તકના લેખક કહે છે કે પ્રોસેસ્ડ ફૂડ પોષણ આપતા નથી, હૃદયરોગ આપે છે.

(૫) છેલ્લે ડો.લોરી જેકબઝ તેના પુસ્તક લેટ ફૂડઝ બી યોર મેડિસિન પુસ્તકમાં લખે છે કે વૃદ્ધાવસ્થા નિવારવા તેમજ ગર્ભવતીના ગર્ભનું રક્ષણ કરવા અને કરોડરજજુના રોગ નિવારવા કુદરતી ફોલિક એસિડ મેળવવા પાલક, શતાવરી કંદગોબી,કેળાં,સલાડપત્તી, ગાજર અને મૂળા ખાઓ. જુવારના કે ચોખાના ઢોકળામાં ફોતરાવાળી મગની દાળ અને અંદર લીલા શાક નાખીને તેને સપ્તાહમાં બે-ત્રણ વખત ખાઓ તો કુદરતી ફોલિક એસિડ મળશે.
kantibhatt

No comments:

Post a Comment